
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પીએમ મોદી ની ઝાટકણી કાઢતાં પીએમ મોદીને જૂઠ્ઠાઓના સરાદાર અને ધૃતરાષ્ટ્ર ગણાવ્યા હતા.
પીએમ મોદી પર પલટવાર કરતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, પીએમ મોદી હારના ડરથી પોતાનો આપા ખોઈ બેસ્યા છે. પીએમ આજે પરસેવો લૂંછી લૂંછીને સમાજમાં નફરત અને ભાગલા પાડોનું ઝેર ઘોળતા નજરે પડયાં હતા. સાચી વાત તો એ છે કે, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી સામે બદલાની આગમાં બળી રહેલા પીએમ મોદી ધૃતરાષ્ટ્રની જેમ અંધ બની ગયા છે. આવું વુવાદસ્પદ બયાન આપીને સુરજેવાલા એ પણ વિવાદનો મધપૂડો છેડ્યો છે.
બીજી તરફ કોંગ્રેસના અન્ય એક સીનીયર નેતા અને કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ પણ કોંગ્રેસને ‘મુસ્લિમ પુરુષો’ની પાર્ટી કહેનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન પર તીખી અને આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના સીનિયર નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, પીએમ પદ પર બેઠેલા વ્યક્તિને કોઈ રાજિનિતીક પાર્ટી માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો શોભતું નથી. આનંદ શર્માએ ઉમેર્યું કે, પીએમ મોદીને ઇતિહાસની ઓછી જાણકારી છે. તે પોતાની હિસ્ટ્રી જાતે જ લખે છે. પીએમ મોદી રાજનિતીના સ્તરને નીચે લઈ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આખા ભારતના હોય છે ફક્ત બીજેપીના નથી હોતા.
વધુમાં આનંદ શર્મા એ કહ્યું કે, મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ઘણા રાષ્ટ્રવાદી આંદોલનો અને આઝાદીના સંઘર્ષમાં ભાગ લીધો છે. પીએમએ યાદ રાખવું જોઈએ કે, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, લાલા લજપતરાય અને મૌલાના આઝાદ જેવા નેતા અધ્યક્ષ રહી ચૂક્યા છે. એ યોગ્ય રહેશે કે કોંગ્રેસ અધ્યક્ષોના લિસ્ટ મોદી પોતાની ઓફિસમાં જોવે. બની શકે કે આ પછી ખોટા નિવેદન કરવાની તેમની આ આદત છુટી જાય. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનથી ફક્ત ઇતિહાસનું અપમાન કર્યું નથી પણ ભારતની સિદ્ધિઓને ઓછી આંકી છે. તેમની આ પ્રકારની બિમાર માનસિકતા દેશ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. તેમણે જે નિવેદન કર્યું તે ઇતિહાસ અને તથ્યો પ્રમાણે સાવ ખોટું છે.
શું છે વિવાદની જડ
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ શનિવારે આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યા પછી જનસભાને સંબોધિત કરી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. એક ઉર્દુ દૈનિક સમાચારનો હવાલો આપીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે, કોંગ્રેસ શું ફક્ત મુસ્લિમ પુરુષોની પાર્ટી છે કે મુસ્લિમ મહિલાઓની પણ છે?
બસ ત્યાંથી જ વાદ વિવાદના મધપૂડા ઉડાઉડ કરવા લાગ્યા છે અને આ વિવાદ શાંત થવાનું નામ નથી દેતો આમાં જનતાના સાચા પ્રશ્નો તકલીફો દબાઈ જાય છે.



