આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સેનામાં ભરતીની ‘અગ્નિપથ યોજના’ પર પાર્ટીના વલણમાં ફેરફારની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી હવે આ યોજનાને સંપૂર્ણ સમર્થન આપશે. તેમની જાહેરાત સાથે, પંજાબ સરકારે એ પણ કહ્યું છે કે તેમની સરકાર સૈન્યમાં અગ્નિવીરોની ભરતી માટે લશ્કરી અધિકારીઓને તમામ શક્ય સહાય પૂરી પાડશે અને વહીવટના સ્તરે કોઈ ખામી સહન કરવામાં આવશે નહીં. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જૂનમાં જ્યારે આ યોજનાની જાહેરાત કરી ત્યારે તેનો વિરોધ કરનારાઓમાં આમ આદમી પાર્ટી પણ સામેલ હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર અગ્નિપથ યોજનાને સંપૂર્ણ સમર્થન આપશે. અરવિંદ કેજરીવાલ દ્વારા આ સ્પષ્ટતા પંજાબ સરકારના ભરતીને સમર્થન ન આપવાના અહેવાલો વચ્ચે આપી છે. ઉલ્લેખનીય છે કે AAPએ અગાઉ અગ્નિપથ યોજનાની ટીકા કરી હતી અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તેઓ સેનામાં જોડાવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોને માત્ર ચાર વર્ષ નહીં પરંતુ જીવનભર દેશની સેવા કરવાની તક આપે.

પત્રકાર પરિષદને સંબોધતા અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે, અગ્નિપથ યોજના પર અમારો કેન્દ્ર સાથે મતભેદો હતા, પરંતુ કેન્દ્રએ તેને લાગુ કરી દીધું હોવાથી અમે આ યોજનાને સંપૂર્ણ સમર્થન આપીશું. અમે યોજના અને સેનાને સંપૂર્ણ સહકાર આપીશું.” બાદમાં તેમના પંજાબ સમકક્ષ ભગવંત માનએ સ્પષ્ટતા કરી કે અગ્નિપથ યોજના પર “સંપૂર્ણ સમર્થન” માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઘટનાક્રમ પર, મુખ્યમંત્રી માન, બુધવારે ટ્વિટ કરીને કહ્યું કે, તમામ ડેપ્યુટી કમિશનરોને ભરતી અભિયાન માટે સૈન્ય અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ શિથિલતાને ગંભીરતાથી લેવામાં આવશે.” તેમણે કહ્યું કે રાજ્યમાંથી મહત્તમ ઉમેદવારોની પસંદગી થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. નોંધનીય છે કે ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત 14 જૂને કરવામાં આવી હતી, જેમાં સાડા 17 વર્ષથી 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવાની જોગવાઈ છે.

જાણો કેમ કેજરીવાલે સમર્થન આપવાનું નક્કી કર્યું
આમ આદમી પાર્ટીએ શરૂઆતમાં અગ્નિપથ યોજનાની ટીકા કરી હતી અને કેન્દ્ર સરકાર પાસેથી માંગણી કરી હતી કે સેનામાં નોકરી મેળવવા માંગતા લોકોને માત્ર ચાર વર્ષ માટે નહીં પણ આખા જીવન માટે દેશની સેવા કરવાની તક આપવી જોઈએ. ફેબ્રુઆરી, 2020માં બીજી વખત આમ આદમીની સરકાર બન્યા બાદ તેમની પ્રથમ ઑફલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ‘અગ્નિપથ યોજના અંગે કેન્દ્ર સાથે અમારો મતભેદ હતો, પરંતુ કારણ કે કેન્દ્ર તેનો અમલ કર્યો છે, અમે તેને સંપૂર્ણ સમર્થન આપીશું. અમે આ યોજના અને સેનાને સંપૂર્ણ સહકાર આપીશું.




