
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે, પંડિત જવાહરલાલ નહેરુ માત્ર કોંગ્રેસના જ નથી, પરંતુ સમગ્ર દેશના છે. આવામાં, તીન મૂર્તિ સંકુલ સાથે ચેડાં કરવામાં ના આવે.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે વડાપ્રધાન મોદીને પત્ર લખીને તીન મુર્તિ સંકુલમાં આવેલ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલયના પ્રકારને બદલવાની યોજના પર ચિંતા વ્યક્ત કરી છે. મનમોહનસિંઘે સરકારની આ યોજના પર આપત્તિ જાહેર કરીને પત્ર લખી જણાવ્યું કે સરકાર દ્વારા એક એજન્ડા સાથે એનએમએમએલ અને તીન મૂર્તિ સંકુલની પ્રકૃતિ અને ચરિત્રને બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પત્રમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘે જણાવ્યું કે, નહેરુ માત્ર કોંગ્રેસના જ નેતા નહોતા પરંતુ આખાય દેશના નેતા હતા. પરંતુ સરકાર એક એજન્ડા હેઠળ નહેરુજી સાથે જોડાયેલા બન્ને સ્થળોની પ્રકૃતિ અને સ્વરૂપને બદલવા ઈચ્છે છે.
ભૂતપૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે, અટલ બિહારી વાજપેયી તેમના છ વર્ષના સમયગાળામાં તીન મૂર્તિ ભવન સાથે ચેડા કર્યા ન હતા, પરંતુ કમનસીબે વર્તમાન સરકાર એક એજન્ડા હેઠળ આમ કરી રહી છે. મનમોહનસિંઘે એવા સમયે પત્રો લખ્યો છે કે જ્યારે સરકાર તીન મૂર્તિ ભવનની અંદર દેશના તમામ વડા પ્રધાનો સાથે જોડાયેલ સંગ્રહાલય બનાવવાની યોજના પર કામ કરી રહી છે.
મનમોહનસિંઘે જણાવ્યું હતું કે, સરકારની આ સંશોધન નીતિ નેહરુજીના પાત્રને અને ભારત બનાવવા માટે તેમના અથાગ યોગદાનને ક્યારેય ઘટાડી શકશે નહીં. તેમણે નેહરુજીના મૃત્યુ પછી સંસદમાં અટલ બિહારી વાજપેયીના ભાષણને યાદ કરતાં કહ્યું કે, ખુદ વાજપેયી કહેતા હતાં કે, હવે કોઇ ટીન મૂર્તિની શોભા પંડિતજીની જેમ વધારી નઈ શકે. તેમના જેવું જીવંત વ્યક્તિત્વ, વિપક્ષને સાથે લઈને ચાલવાની તેમની કળા, તેમના જેવી સજ્જનતા, નમ્રતા અને મહાનતા ભાગ્યે જ ભવિષ્યમાં દેખાશે. તેમના મતભેદ સિવાય, તેમના આદર્શો, દેશભક્તિ અને અજોડ હિંમત પ્રત્યે દરેકના મનમાં એમના માટે આદર સમ્માન છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંઘે પત્રમાં વધુ લખ્યું છે કે, “તીન મૂર્તિ દેશને ઉભો કરનારા પ્રથમ પ્રધાનમંત્રીની સ્મૃતિ છે. તેમની વિશિષ્ટતા અને મહાનતાને તેમના રાજકીય વિરોધીઓ પણ સ્વીકાર કરતા હતાં. ઇતિહાસ અને વારસાને ધ્યાનમાં રાખીને આપણે તીન મૂર્તિને જેવું છે તેવું જ રહેવા દેવું જોઈએ. ઉપરાંત, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને પણ વ્યાવસાયિક શ્રેષ્ઠતાની સંસ્થા બનેલા રહેવા દેવા જોઈએ.”