
જ્યારથી સીઆર પાટીલ ભાજપ અધ્યક્ષ બન્યા ત્યારથી ભાજપમાં કોઈને કોઈ નાની મોટી ચકમક ઝરતી જઇ રહી છે. સીઆર પાટીલ દ્વારા તેમનો કોરોના કાળમાં સૌરાષ્ટ્ર પ્રવાસ પણ વિવાદિત રહ્યો હતો. કેટલાય વિવાદો પણ સામે આવ્યા. મુખ્યમંત્રીના નજીકના ગણવામાં આવતા અને રાજકોટથી ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ સાથેની જાહેરમાં થયેલી અનબનનો વીડિયો સમગ્ર ગુજરાતમાં વાયુ વેગે વાઈરલ થઈ ગયો હતો. તો બીજી તરફ કોરોના મહામારીમાં સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ એક ચર્ચાનો વિષય રહ્યો હતો.

આટલું ઓછું હોય ત્યાં સીઆર પાટીલના ભાષણો પણ વાઈરલ થઈ રહ્યા હતા. જેમાં તેઓ ભાજપમાં આવેલા કોંગ્રેસના આયાતી નેતાઓને રીતસર ભાંડતાં હોય તેવું લાગતું હતું. ભાજપના કાર્યકરોને ઉત્સાહિત કરવાના ચક્કરમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ધારાસભ્યોને આડકતરી રીતે રોકડું પરખાવતા કહી દીધું હતું કે ભાજપને જીતવા માટે આયાતી કોંગ્રેસ નેતાઓની જરૂર નથી ભાજપના કાર્યકરો અને નેતાઓ સક્ષમ છે. ગુજરાત ભાજપ પ્રમુખ પાટીલ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે હવે કોઈ કોંગ્રેસના નેતાને ભાજપમાં લેવામાં આવશે નહીં.

પરંતુ ભાજપ અધ્યક્ષની આ હાંકલને ભાજપ નેતાઓજ ઘોળીને પી ગયા અને તેમની સલાહ, આદેશની અવગણના કરી. એટલું જ નહીં ભાજપ નેતાએ તો જાહેરમાં પણ કહ્યું કે કોંગ્રેસના જે નેતાઓને ભાજપમાં આવવું હોય તે તમામ નું સ્વાગત છે. વાત એમ છે કે મોરબીમાં કોંગ્રેસ નેતા કિશોર ચીખલીયા કોંગ્રેસ છોડીને ભાજપ માં શામેલ થઈ ગયા છે અને મોરબી પાલિકાના પાંચ લોકો પણ ભાજપમાં જોડાયા હતા. પેટા ચૂંટણી પહેલાં ભાજપ અધ્યક્ષ દ્વારા કાર્યકરોમાં રોષ જોતા પાર્ટી નેતાઓને હાંકલ કરી હતી કે કોઈ કોંગ્રેસ નેતાઓને ભાજપમાં જોડવા નહીં. પરંતુ મોરબીમાં કોંગ્રેસ નેતાના સ્વાગત બાદ પાટીલના આદેશના લીરેલીરા ઉડી ગયા હતાં.

મહત્વનો સવાલ એ છે કે, પાટીલ દ્વારા આપવામાં આવેલા આ આદેશ માત્ર એક ઓપચારિકતા પુરતો જ હતો? કે પછી ભાજપ ચૂંટણી આવે ત્યારે બધું ચાલે તેવી નિતી અપનાવી રહ્યું છે? અથવા તો પક્ષપલટાની આ પ્રક્રિયાથી ખુદ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ જ અજાણ છે? આવા કેટલાય સવાલો છે જેના કારણે ભાજપની અંદરનું રાજકારણ ગરમાઈ ગયું છે. ખુદ ભાજપ નેતાઓ જ ભાજપ અધ્યક્ષના આદેશને અવગણી રહ્યા છે. ભાજપના દિગ્ગજ ગણવામાં આવતાં નેતાએ તો એમ પણ કહ્યુ કે કોંગ્રેસ નેતાઓને ભાજપમાં આવવું હોય તો સ્વાગત છે. શું ભાજપ અધ્યક્ષ અને નેતાઓ વચ્ચે ગજાગ્રહ છે?

ત્યારે કેટલાક ભાજપ નેતાઓ દ્વારા આ પક્ષપલ્ટાનો બચાવ કરતાં કહ્યું હતું કે ભાજપ માં કોંગ્રેસના નેતાઓનું માત્ર સ્વાગત કરવામાં આવે છે કોઈ હોદ્દો આપવામાં આવતો નથી ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ જવાબ આપતાં જણાવ્યું હતું કે ભાજપમાં કોંગ્રેસ નેતાનું સ્વાગત કરીને તેમને હોદ્દા ને બદલે ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે છે સરકારમાં કેબિનેટ કક્ષાનું મંત્રી પદ આપવામાં આવે છે. ભાજપ નેતા ભૂલ્યા કે પાયાના કાર્યકરના આવજને તેમની માંગણીને અવગણીને કોંગ્રેસના આયાતી નેતાઓને ચૂંટણીમાં ટિકિટ અને સરકારમાં કેબિનેટ કક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યા બાદ હોદ્દાની શી જરૂર?

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં જયાં જયાં પેટા ચૂંટણી છે ત્યાં ત્યાં ભાજપ નેતાઓ દ્વારા કોંગ્રેસ નેતાઓ ને આવકાર આપવામાં આવી રહ્યા છે શું આ ભાજપ અધ્યક્ષના આદેશની અવમાનના નથી? પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતી ભાજપ માંજ શિસ્તનો છેડ ઉડી ગયો હોય એવું લાગી રહ્યું છે. ભાજપ માં કોંગ્રેસના આયાતી નેતાઓને લાવવામાં આવતાં અને તેમને પેટા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવતા ભાજપ કાર્યકરોમાં નારાજગી છે જ અને કાર્યકરોને ચાર્જ કરવા માટે પાટીલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ભાજપ નેતાઓ દ્વારા જ આ આદેશને રદ્દી બનાવી દેવામાં આવ્યો છે.