શું મૂર્તિ બનાવવી એ સાચી શ્રદ્ધાંજલિ છે? શું મૂર્તિ બનાવવી એ દરેક સમસ્યાઓનો ઉકેલ છે?

મૂર્તિ, માણસ અને વિકાસ!!
સામાન્ય રીતે સમગ્ર દુનિયામાં નેતાઓની મૂર્તિ બનાવી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો રિવાજ રહ્યો છે. આ રિવાજનો ઘણાં નેતાઓએ વિરોધ પણ કર્યો છે જેમાં સરદાર પટેલનું નામ પણ શામેલ છે. સરદાર પટેલની મૂર્તિ કે જેને Statue of Unity તરીકે ઓળખવામાં આવે છે તેનું ભારતના વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. આ મૂર્તિ બનાવવા પાછળનું નાણાંકીય ખર્ચ ₹ ૨,૦૦૦ કરોડથી પણ વધારે થવા પામ્યું છે. આટલાં રૂપિયા જ્યારે એક મૂર્તિ બનાવવા પાછળ ખર્ચાય ત્યારે એક પ્રશ્ન ચોક્કસ ઉદભવે કે શું તે ભારત જેવાં ગરીબ દેશને પરવળે ખરું? કારણ કે ખરેખર જોતાં આ રૂપિય તો જનતાના છે. કેટલાંક મુદ્દાઓ મનમાં ઉઠે છે જે નીચે મુજબ છેઃ
૧. ગુજરાતમાંથી હમણાં જ બહારથી કામ કરવા આવતા લોકો સાથે ખરાબ વર્તન કરીને કાઢી મૂકવામાં આવ્યા? શું સરદાર પટેલ હયાત હોત તો આવું કરત? શું એકતા ખાલી મૂર્તિ બનાવવાથી આવી જશે?
૨. છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશ અને દુનિયામાં ધર્મ અને જાતિ વિરુદ્ધ જે રીતે દમન વધ્યું છે તે મૂર્તિ બનાવવાથી ઓછું થશે?
૩. ૨૦૧૩-૧૫ દરમ્યાન ગુજરાતમાં ૧૪૮૩ ખેડૂતોએ દેવાના કારણે આત્મહત્યા કરી. શું મૂર્તિ બનાવવાથી તેમનું દેવું ઘટી જશે?
૪. ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોમાં ૧૮૯૩૨ જેટલા પરિવારોનો વધારો થયો છે. શું મૂર્તિ બનાવવાથી તેમની ગરીબી ઘટી જશે?
આવા તો અનેક મુદ્દાઓ હજુ બાકી છે. પ્રશ્ન અહીં એટલો જ છે કે માત્ર મૂર્તિ બધાં જ પ્રશ્નો ઉકેલી દેશે? શું તેનાથી દેશમાં એકતા અને ભાઈચારો વધી જશે?
પ્રો. આત્મન શાહ
સેન્ટ ઝેવિયર્સ કોલેજ (અમદાવાદ)